જામનગરમાં SGST વિભાગે રૂ.560 કરોડના બોગસ બિલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો, માસ્ટરમાઇન્ડ સામે લુક આઉટ નોટિસ જારી

08:42 PM Oct 09, 2025 | gujaratpost

રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (SGST) વિભાગ, ગુજરાતે મોટા કરચોરી રેકેટનો પર્દાફાશ કર્યો 

જામનગર સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયા રૂ.100 કરોડથી વધુની કરચોરીનો મુખ્ય સૂત્રધાર

જામનગરઃ સ્ટેટ જીએસટી વિભાગે દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી મોટું ઓપરેશન ચલાવાઇ રહ્યું હતુ, જેમાં હવે મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, સ્ટેટ જીએસટીની જુદી જુદી ટીમોએ કરોડો રૂપિયાની કરચોરી ઝડપી લીધી છે. 560 કરોડ રૂપિયાના બોગસ બિલિંગમાં 112 કરોડ રૂપિયાની કરચોરી સામે આવી છે, જેનો માસ્ટર માઇન્ડ જામનગર સ્થિત CA અલ્કેશ પેઢડિયા હોવાનું સામે આવ્યું છે.

જીએસટી વિભાગે 3 ઓક્ટોબર, 2025 ના રોજ 25 જગ્યાઓ પર એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ, જેમાં BRAHM એસોસિએટ્સ, CA ફર્મની ઓફિસનો સમાવેશ થાય છે, જેમાં મુખ્ય આરોપી ભાગીદાર છે, ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017 ની જોગવાઈઓ અનુસાર રાજ્યભરની GST ઓફિસોમાંથી 27 ટીમો દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

અત્યાર સુધીની તપાસમાં 14 બિન-અસલી કરદાતા (NGTP) કંપનીઓએ માલની હેરાફેરી વગર નકલી ઇન્વોઇસ જારી કર્યા હતા અને છેતરપિંડીથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) લઇ લેવામાં આવી હતી.

અનેક કંપનીઓ CA અલ્કેશ પેઢડિયા દ્વારા સીધી રીતે સંચાલિત હતી. ઘણી કંપનીઓના કિસ્સામાં, એવું જાણવા મળ્યું છે કે વાસ્તવિક કરદાતાઓના GSTIN ઓળખપત્રોનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જેથી વિભાગ આ સીએ સામે છેતરપિંડી અને વિશ્વાસ ભંગ માટે FIR દાખલ કરી શકે છે.

દરોડા દરમિયાન, અધિકારીઓએ દસ્તાવેજો, કમ્પ્યુટર્સ અને અન્ય ડિજિટલ સ્ટોરેજ ઉપકરણો જપ્ત કર્યા હતા, જેમાં ખોટા ઇન્વોઇસિંગ અને નાણાકીય રેકોર્ડ્સની હેરાફેરી કરવાના મહત્વપૂર્ણ પુરાવા હતા. પ્રાથમિક વિશ્લેષણમાં વિવિધ બેંક ખાતાઓ દ્વારા રૂટ કરાયેલા નાણાકીય વ્યવહારો સામે આવ્યાાં હતા.

રેડ દરમિયાન સામે આવેલા મહત્વના મુદ્દાઓ અને વિભાગે કરેલી કાર્યવાહી 

1. બોગસ વ્યવહારો: રૂ.560 કરોડના છેતરપિંડીભર્યા વ્યવહારો ઓળખાયા, જેમાં અંદાજિત રૂ.112 કરોડની કરચોરી થઇ છે

2. ITC બ્લોકેજ અને એકાઉન્ટ ફ્રીઝિંગ: રૂ. 4.62 કરોડની અયોગ્ય ITC બ્લોક કરવામાં આવી, રૂ.1 કરોડથી વધુ રકમ ધરાવતા બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા

3. સંપત્તિ જપ્તી: સરકારી આવકને સુરક્ષિત રાખવા માટે આશરે 36 કરોડની સંપત્તિ કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી

4. કર વસૂલાત: ઘણા કરદાતાઓએ વિભાગના તારણો સ્વીકાર્યા છે અને કર, વ્યાજ અને દંડ તરીકે આશરે ₹33 કરોડ ચૂકવવા સંમત થયા છે

5. કાનૂની કાર્યવાહી: તપાસ હેઠળના 25 કરદાતાઓમાંથી, 14 કરદાતાઓ બિન-ખરા કરદાતા (NGTP) હોવાનું જાણવા મળ્યું છે અને સરકારી આવકનું રક્ષણ કરવા માટે વધુ કાર્યવાહી ચાલી રહી છે.

6. અન્ય મહત્વપૂર્ણ પગલાં: ઘણા સમન્સ છતાં, માસ્ટરમાઇન્ડ હજુ સુધી તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થયો નથી, તેથી તેને દેશ છોડીને ભાગી જવાથી રોકવા માટે લુક આઉટ નોટિસ (LOC) જારી કરવામાં આવી છે.