ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી

07:40 PM Jun 16, 2025 | gujaratpost

ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરી

3- 4 દિવસ માટે પીવાનું પાણી સ્ટોર કરવાની સલાહ આપવામાં આવી

તેહરાન: ઈરાનમાં ઈઝરાયેલી હુમલાને કારણે ફસાયેલા ઘણા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓમાંથી એક, ઇમ્તિસાલ મોહિદીને મીડિયાને જણાવ્યું કે, શુક્રવારે રાત્રે 2:30 વાગ્યે હું જોરદાર ધડાકાનો અવાજ સાંભળીને જાગી ગયો અને બેઝમેન્ટ તરફ ભાગ્યો. ત્યારથી અમે સુતા નથી. દેશભરમાં ઇઝરાંયલી હુમલાઓને કારણે ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકારને સુરક્ષિત ઘરે પાછા ફરવાની અપીલ કરી છે. વિદ્યાર્થીઓના છાત્રાલયો અને એપાર્ટમેન્ટ્સથી થોડાક કિલોમીટરના અંતરે વિસ્ફોટોની જાણ થતાં લોકોમાં ડર વધી રહ્યો છે. અહીં રહેતા ભારતીયોએ કેન્દ્ર સરકાર બહુ મોડું થાય તે પહેલા તેમને સુરક્ષિત બહાર કાઢવાની અપીલ કરી છે.

Trending :

તેહરાનમાં શહીદ બેહેશ્તી યુનિવર્સિટીમાં MBBSના ત્રીજા વર્ષના 22 વર્ષીય વિદ્યાર્થી ઇમ્તિસાલે કહ્યું કે, ફક્ત તેમની યુનિવર્સિટીમાં જ 350થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે. અમે અમારા એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ફસાયેલા છીએ. અમે દર રાત્રે ધડાકા સાંભળીએ છીએ. એક વિસ્ફોટ ફક્ત 5 કિલોમીટર દૂર થયો હતો. અમે ત્રણ દિવસથી ઉંઘતા પણ નથી. મૂળ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના રહેવાસી મોહિદીને જણાવ્યું કે, બોમ્બ ધડાકાને કારણે યુનિવર્સિટીએ ક્લાસ સ્થગિત કરી દીધા છે. વિદ્યાર્થીઓ બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

શહીદ બેહેશ્તી યુનિવર્સિટી ઓછા ખર્ચમાં પ્રતિષ્ઠિત MBBS કાર્યક્રમ માટે ભારતીય નાગરિકોમાં ઘણી પ્રખ્યાત છે. માહિતી અનુસાર, યુનિવર્સિટી પ્રશાસન વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. સમાચાર એજન્સી ANIએ જેમની સાથે વાત કરી, તેમણે કહ્યું કે તેઓ હવે સુરક્ષા નિર્દેશો અને આગામી પગલાં માટે ભારતીય દૂતાવાસની સલાહ અને સંકલન પર આધાર રાખે છે.

મોહિદીને કહ્યું, અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે સ્થિતિ બગડે તે પહેલા અમને બહાર કાઢવામાં આવે. દૂતાવાસે હેલ્પલાઇન શેર કરી છે અને સંપર્કમાં છે, પરંતુ અમે ડરી ગયા છીએ અને અમારે ઘરે જવાની જરૂર છે.

આ દરમિયાન તેહરાનમાં ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરીમાં તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને ઘરની અંદર રહેવા અને સત્તાવાર ચેનલોનું નિરીક્ષણ કરતા રહેવા જણાવ્યું છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, અમે ઈરાનમાં સૌને અપીલ કરીએ છીએ કે દૂતાવાસથી સ્થિતિ પર અપડેટ પ્રાપ્ત કરવા માટે અમારા ટેલિગ્રામ લિંકથી જોડાઈ. કૃપા કરીને ધ્યાન આપો કે આ ટેલિગ્રામ લિંક ફક્ત તે ભારતીય નાગરિકો માટે છે, જેઓ હાલમાં ઈરાનમાં છે. દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી હેલ્પલાઇન પણ જારી કરી છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++