મુખ્યમંત્રીએ માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખવા આ મંત્રીઓને સોંપી જવાબદારી

10:24 PM Oct 27, 2025 | gujaratpost

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કમોસમી વરસાદથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટરો તથા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સતત સંપર્કમાં રહીને જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.મુખ્યમંત્રીએ અનેક મંત્રીઓને કમોસમી વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં સ્થિતિને પહોંચી વળવા માર્ગદર્શન આપવા દિશાનિર્દેશો આપ્યાં હતા.

મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અનુસાર કૃષિ મંત્રી જીતુ વાઘાણી- ભાવનગર, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ- તાપી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો.પ્રદ્યુમન વાજા- જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજ્યમંત્રી કૌશિક વેકરિયા- અમરેલી પહોંચશે. એટલુ જ નહિં, આ મંત્રીઓ સંબંધિત જિલ્લાઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની માહિતી મેળવશે તથા અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવસ દરમિયાન રાજ્યના બધા જિલ્લા કલેક્ટરો સાથે સંપર્ક કરીને તેમના જિલ્લામાં વરસાદી સ્થિતિ અને વાતાવરણમાં આવેલા બદલાવ અંગે વિગતો મેળવી હતી અને સ્ટેટ ઈમરજન્સી સેન્ટરને પણ જિલ્લાઓ સાથે સંકલન સાધીને જરૂરી મદદ સહાય માટે સૂચનાઓ આપી હતી.