ગોંડલઃ જયરાજસિંહ જાડેજાના ઘરના CCTV પોલીસે કર્યા જાહેર, થયો મોટો ખુલાસો- Gujarat Post

03:12 PM Mar 11, 2025 | gujaratpost

છેલ્લા થોડા દિવસથી ગણેશ ગોંડલનું આ પ્રકરણ ચર્ચામાં હતું

પોલીસે પૂર્વ ધારાસભ્યના ઘરના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા

રાજકોટઃ ગોંડલમાં રાજકુમાર જાટનાં મોત મામલે પોલીસ દ્વારા વધુ એક મોટો ખુલાસો થયો છે. પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરનાં CCTV ફૂટેજ જાહેર કર્યા હતા. આ CCTV ફૂટેજમાં મૃતક યુવકને માર મારવામાં ન આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. જો કે, પુત્રને ઢસડીને ઘરમાં લઈ ગયા હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે. જ્યારે CCTV ફૂટેજમાં પિતા-પુત્ર જાતે જ અંદર આવતા હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

મૃતક યુવકના પિતા રતનલાલ જાટ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેમના પુત્રને ઢસડીને ઘરમાં લઈ આવવામાં આવ્યો હતો અને ઢોર માર મારવામાં આવ્યો હતો. જો કે, પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ CCTV ફૂટેજમાં પિતા-પુત્ર જાતે જ અંદર આવતા હોય તેવું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગોંડલમાં પરપ્રાંતીય યુવક રાજકુમાર જાટ અઠવાડિયાથી ગુમ હતો, તેનો મૃતદેહ રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી મળી આવ્યો હતો. પહેલા કુવાડવા પાસે વાહનની અડફેટે યુવકનું મોત થયું હોવાનો દાવો કરાયો હતો. પરંતુ, આ મામલે રાજસ્થાનનાં નાગૌરનાં સાંસદ હનુમાન બેનીવાલ  દ્વારા કરવામાં આવેલા ટ્વીટ બાદ ભારે હડકંપ મચી ગયો છે. સાંસદે યુવકની હત્યાનાં આરોપ સાથે સીબીઆઈ તપાસની માગ કરી છે. સાંસદ હનુમાન બેનીવાલે ટ્વીટમાં જણાવ્યું છે કે, પૂર્વ ધારાસભ્ય અને પરિવારનું હત્યાકાંડમાં નામ છે. તેમણે હત્યાકાંડ મામલે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવાની માગ કરી હતી અને ગણેશ ગોંડલ પર આક્ષેપો કર્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++