ચંદીગઢમાં ભાજપ કાર્યાલય બહાર ધડાકો, સમગ્ર વિસ્તાર સીલ

06:57 PM Apr 01, 2026 | gujaratpost

નવી દિલ્હીઃ ચંદીગઢમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ક્ટર-37 સ્થિત ભાજપ કાર્યાલયની બહાર ધડાકો થતા ત્યાં નાસભાગ મચી ગઈ હતી. ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટના બાદ ત્યાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને તપાસ હાથ ધરી છે, સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે.

મળતી વિગત પ્રમાણે, સાંજે લગભગ 5 વાગ્યે સેક્ટર-37 સ્થિત પંજાબ ભાજપ મુખ્યાલયની બહાર આ ધડાકો થયો હતો. બહાર પાર્ક કરેલી એક સ્કૂટીમાં જોરદાર ધડાકો થયો હતો. સદનસીબે આ ધડાકામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભાજપ કાર્યાલયની અંદર પણ કોઈ નુકસાન થયું નથી.

ચંદીગઢના એસએસપી (SSP) અને આઈજી (IG) પુષ્પેન્દ્ર કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ સ્કૂટી કોની હતી તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડને પણ બોલાવવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમ પણ હાજર છે અને નમૂનાઓ એકત્ર કરી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.