ગુજરાત સરકારના કર્મચારીઓને દિવાળીની ભેટ, 3 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય

08:47 PM Oct 07, 2025 | gujaratpost

મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2025 થી કેન્દ્રના ધોરણે વધારો આપવાનો નિર્ણય

છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળીને 4.69 લાખ કર્મચારીઓ અને 4.82 લાખ પેન્શનર્સને લાભ

મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવત રકમ- એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે

ગાંધીનગરઃ છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જુલાઈ, 2025થી આપવાનો નિર્ણય કરાયો છે.

મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવેલો છે.

આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જુલાઈ 2025 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં ચૂકવવામાં આવશે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.69 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.82 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.483.24 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.1932.92 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે કરાશે.