ગરુડેશ્વર: પેરોલ પર જેલમાંથી છૂટ્યાં બાદ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક કાર્યક્રમમાં સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો કે વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ગાંધીનગર ખાતે તેમને ભાજપના મોટા નેતાઓએ મને પક્ષ પલટો કરવાની ઓફર કરી હતી.
વસાવાએ જાહેર મંચ પરથી જણાવ્યું કે,મને ઓફર કરવામાં આવી કે, ભાજપમાં જોડાઈ જાઓ. મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે એટલે મંત્રી બનાવી દઈશું. ગરુડેશ્વર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વસાવાએ કહ્યું કે, તેઓ મંત્રી બની જાય કે મુખ્યમંત્રી, લાખો-કરોડોની મિલકતો વસાવી લે, પરંતુ જનતાના પ્રેમથી મોટું કંઇ નથી.
વસાવાએ ભારપૂર્વક કહ્યું કે, લોકોનો પ્રેમ, સાથી મિત્રોનો સહકાર અને વડીલોના આશીર્વાદ જ મારી ખરી પૂંજી છે. આ નિવેદન દ્વારા તેમણે ભાજપની ઓફર ઠુકરાવીને મતદારોમાં પોતાની આગવી છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે. કાર્યક્રમમાં ચૈતર વસાવાએ ફિલ્મી ડાયલોગની શૈલીમાં સંબોધન કર્યું, જેનાથી કાર્યકરોમાં જોશ ભરાયો. તેમણે કહ્યું: ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં. તુમકો ક્યા લગતા થા નહીં લૌટેંગે, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં !
આ ડાયલોગ સાંભળીને કાર્યકરો અને લોકોએ જોરદાર તાળીઓ પાડીને વાતાવરણ ગુંજવી દીધું હતું. વસાવાએ સ્પષ્ટ કર્યું કે ગરીબ જનતાના આશીર્વાદ અને સહકાર તેમના માટે મંત્રીપદ કરતાં પણ વધુ મૂલ્યવાન છે.